127 વર્ષ પછી ગોદરેજ પરિવાર વિભાજીત : પરિવાર : બંને જૂથો ગોદરેજ બ્રાન્ડનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે
- 01 May, 2024
દેશમાં રાજા મહારાજાઓની સંપત્તિમાં ભાગ માટે ખુનામરકી થતી હોવાનું ઇતિહાસના પાને નોંધાયેલું છે જો કે આજના સમયમાં અબજોપતિધનિકોના પરિવારમાં સમાધાન અને કોઈપણ વાદ વિવાદ વગર સંપત્તિનું વિભાજન જોવા મળે છે . તાજેતરમાં જ ગોદરેજ કોર્પોરેટ હાઉસ પરિવારમાં સંપત્તિનું સુખદ વિભાજન થયું છે.
ગોદરેજ એ ભારતમાં ઘર ઘરમાં જાણીતું નામ છે. સાબુથી લઈને હોમ એપ્લાયન્સિસ અને રિયલ એસ્ટેટ સહિતના બિઝનેસમાં ગોદરેજ ગ્રૂપ હાજરી ધરાવે છે. 127 વર્ષનો ઈતિહાસ ધરાવતા ગોદરેજ જૂથમાં હવે વિભાજન થવા જઈ રહ્યું છે. અને હવે આ જૂથ સત્તાવાર રીતે વિભાજિત થઈ ગયો છે. ભારતમાં 127 વર્ષ પહેલાં બિઝનેસનો પાયો નાખનાર ઉદ્યોગસાહસિક પરિવારના વારસદાર આદિ ગોદરેજ અને તેમના ભાઈને શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓ મળશે. જ્યારે તેના પિતરાઈ ભાઈઓ અને બહેનોના શેર અનલિસ્ટેડ કંપનીઓમાં આવશે
વિભાજન માટેના કરાર પર હસ્તાક્ષર થઈ ગયા છે. તે મુજબ આદિ ગોદરેજ અને તેમના ભાઈ નાદિરને ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝના અધિકારો મળ્યા છે. તેની પાંચ કંપનીઓ લિસ્ટેડ છે. જ્યારે આદિ ગોદરેજના પિતરાઈ ભાઈ-બહેન જમશેદ અને સ્મિતાને અનલિસ્ટેડ કંપની ગોદરેજ એન્ડ બૉયસની માલિકી મળશે. ગોદરેજ એન્ડ બોયસ સાથે સંકળાયેલી કંપનીઓ સાથે આ બંનેને મુંબઈમાં મહત્વની મિલકતનો મોટો પ્લોટ મળશે.ગોદરેજ સમૂહ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. તે મુજબ આ જૂથને સ્થાપક પરિવારની બે શાખાઓ વચ્ચે વિભાજિત કરવામાં આવ્યું છે. તેમાંથી એક હિસ્સો 82 વર્ષના આદિ ગોદરેજ અને તેમના 73 વર્ષના ભાઈ નાદિરના ભાગે મળશે. જ્યારે બીજો હિસ્સો તેમના પિતરાઈ ભાઈ-બહેન 75 વર્ષીય જમશેદ ગોદરેજ અને 74 વર્ષીય સ્મિતા ગોદરેજ કૃષ્ણાને મળશે.
ગોદરેજ પરિવારે જણાવ્યું છે કે બંને જૂથો ગોદરેજ બ્રાન્ડનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે. વિભાજન હોવા છતાં, બંને પક્ષો તેમના સમાન વારસાને વધારવા અને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ એક વિશાળ જૂથ છે જેની લિસ્ટેડ કંપનીઓ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્ઝ્યુમર, ગોદરેજ પ્રોપર્ટીઝ, ગોદરેજ એગ્રોવેટ અને એસ્ટેક લાઇફસાયન્સિસ સામેલ છે. તેના અધ્યક્ષ તરીકે નાદિર ગોદરેજ હશે અને તેનું નિયંત્રણ આદિ ગોદરેજ, નાદિર ગોદરેજ અને પરિવાર દ્વારા કરવામાં આવશે. આદિના 42 વર્ષીય પુત્ર પીરોજશા ગોદરેજ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ હશે. ત્યાર બાદ ઓગસ્ટ 2026માં તેઓ નાદિરનું સ્થાન લેશે.
બીજી તરફ ગોદરેજ એન્ટરપ્રાઈઝ ગ્રૂપમાં ગોદરેજ એન્ડ બોયસ અને એસોસિયેટ્સ સામેલ છે. આ જૂથ એરોસ્પેસ, ડિફેન્સ, ફર્નિચર અને આઈટી સોફ્ટવેર સુધીના ઉદ્યોગોમાં હાજરી ધરાવે છે. જમશેદ ગોદરેજ તેના પ્રેસિડન્ટ અને એમડી તરીકે તેનું નિયંત્રણ કરશે. તેમના બહેન સ્મિતાની 42 વર્ષીય પુત્રી ન્યારીકા હોલકર તેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હશે. આ ગ્રૂપ પાસે મુંબઈમાં 3,400 એકરની લેન્ડ બેંક પણ છે અને ગ્રૂપની કુલ વેલ્યૂ 2.34 લાખ કરોડ રૂપિયા જેટલી થાય છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ